ઠંડી, સૂર્ય, વાતાવરણ અને માનવીય સ્વભાવ!

જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચમકતો રહે છે, ત્યાં સુધી ઠંડીની તાકાત નથી કે તે પોતાની પૂર્ણ તાકાત બતાવી શકે! ઠંડી તો સૂર્યની ગેરહાજરીમાં જ પોતાનો સાચો રંગ બતાવે! અને એ સત્ય પણ છે જે આપણે વાતાવરણમાં થતાં અનુભવો દ્વારા સમજી શકીએ છીએ.

પરંતુ, એ ઠંડી અને સૂર્ય દ્વારા વાતાવરણમાં થતાં ફેરફારો એ વાતાવરણનો સ્વભાવ દર્શાવે છે એવી જ રીતે માનવીય સ્વભાવમાં પણ આવાં લક્ષણો જોવા મળે છે.

ઠંડી એટલે આપણો મૂળ સ્વભાવ! અને અનુભવ, સમજણ, ગુરુ ચીંધ્યો માર્ગ અને સત્સંગ ને હું સૂર્ય પ્રકાશ ગણું છું. જ્યાં સુધી સૂર્ય પ્રકાશ રૂપી એ જ્ઞાન અને સમજણની ધારા સ્વાભાવિક નથી થતી ત્યાં સુધી અનંત અજ્ઞાન, ભ્રષ્ટાચાર, અશિસ્તતા અને બેદરકારી રૂપી ઠંડી જ માનવીય સ્વભાવ બની રહે છે.

એવું નથી કે, ફક્ત સૂર્યની હાજરીથી જ ઠંડીનો નાશ થવા લાગે છે એ તો ચેઇન પ્રોસેસ છે! વાતાવરણના તમામ અણુઓ જ્યાં સુધી એ જ્ઞાન રસ અને શુદ્ધ સાત્વિક સમજણથી તરબોળ ન થાય ત્યાં સુધી ઠંડી તેનું કામ કરતી જ રહે છે.

એક વખતની વાત છે, મારે સવારમાં મિત્રને ત્યાં જવાનું થયું અને સમય હતો જાન્યુઆરી આસપાસનો અને ઠંડી તેની સોળે કળાએ હતી. સવારમાં 6 વાગ્યે ઠંડી લગભગ મહતમ હોતી હશે એવું મને લાગતું હતું. કારણકે ઠંડીના તંત્રનો નિયમ છે એ વાતાવરણમાંથી જેમ ધીમે ધીમે ગરમી શોષાતી રહે છે એમજ ઠંડીનું પ્રમાણ વધતું રહે છે.

એ દિવસે, સવારે 6 વાગ્યે ઘરેથી નીકળ્યાં બાદ કામ પતાવીને લગભગ 8 વાગ્યે પરત ફર્યો પણ મેં અનુભવ્યું, 8 વાગ્યે અજવાળું થઈ ગયું હોવા છતાંય મને ઠંડી વધારે લાગી રહી હતી. લગભગ ઠંડી દોઢ એક ગણી વધારે હતી 6 વાગ્યાં કરતાં!

હવે અજવાળામાં પણ ઠંડી વધારે લાગી રહી હતી તેનું કારણતો વૈજ્ઞાનિક જ હતું પણ તરત સમજમાં ન આવ્યું! થોડો અભ્યાસ કર્યો અને ગોષ્ટિ કર્યા બાદ સમજાયું કે, દરેક તત્વનું કાર્ય છે તેને જેટલી જગ્યા અને સમય મળે તો તે પ્રમાણે વિસ્તરતું રહે અને દબાણ મળે એ મુજબ પ્રમાણસર સંકોચાતું રહે!

શિયાળામાં ભલે સવાર 7 વાગ્યે થઈ જાય છે પરંતુ શહેરોમાં સૂર્ય દર્શન અને સૂર્ય ઉદય તો લગભગ 9 વાગ્યા પછી જ થાય છે. પછી સૂર્ય દ્વારા તેના ફોટોન્સનું પ્રમાણ વધે અને ઠંડી પ્રમાણે ઘટે એ કુદરતી પ્રક્રિયા થઈ.

હવે, આ આખા અનુભવથી એ શિખવા મળ્યું કે,

- જ્ઞાન સર્વ વ્યાપી છે
- સમજણ જ્ઞાનનો કન્ટ્રોલર છે જેમ સ્વેટર ઠંડી સામે રક્ષણ આપે છે.
- ફક્ત આકાશમાં અજવાળું થયે ઠંડી દૂર થશે એ વાતમાં માલ નથી. ઉલટું જો યોગ્ય સમયે સૂર્યનો પ્રકાશ ધરતી પર ન પહોંચે તો ઠંડીનું સ્તર વધતું જ રહેશે! એજ રીતે થોડું-ઘણું સાંભળી-અનુભવી ને મેળવેલા જ્ઞાનથી આપણો ઘડો અધુરો જ રહે છે. ફક્ત તે દેખાય આવે છે કે એ જ્ઞાનરસથી ભરપૂર છે અને અઝવાળું થઈ ગયું છે પણ જ્યાં સુધી યોગ્ય સમજણ અને જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ જીવનની દરેક બાબતોમાં હસ્તગત નહીં કરે ત્યાં સુધી આપણી સ્વાભાવિક ઠંડી/અવગુણો (સામજિક અને માણસાઈની દ્રષ્ટિ એ) બરકરાર રહેશે!

એટલે જ જેનો સૂર્ય ઉદય થયો છે તેનાં દૈનિક જીવનમાં, વિચારસરણીમાં, પૂર્વ ધારણાઓમાં અને વ્યવહારમાં સાત્વિક ફેરફાર થાય એ યોગ્ય છે. સૂર્ય રૂપી તેની ગરમી ઠંડી સામે હૂંફ આપશે, પરંતુ એક સમય એવો પણ આવશે કે જ્યારે ગરમી શરૂ થશે. ઠંડીનું નામોનિશાન નહીં હોય ત્યારે સૂર્યની ગરમી તમને હેરાન કરશે અને વ્યવહારિક જીવનમાં પણ એવું જ કઈંક થાય છે. જ્ઞાન જ્યારે સમજણ બનવા લાગે ત્યારે વ્યક્તિ ને પોતાનાં જ નીતિ નિયમોને લીધે તકલીફ અનુભવાય છે. પરંતુ એજ તો પરીક્ષા છે.

અન્યાય સામે લડનારો એજ ગરમી અનુભવતો હોય છે. યોગ્ય અને ક્રાંતિકારી વિચાર ધરાવતો એ જ ગરમી અનુભવતો હોય છે. જે એ ગરમીને બરકરાર રાખે છે એ જ તો આઝાદ છે. એ જ તો માણસ છે. એ જ તો પરમ છે.

જય હિન્દ

કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ