ખરેખર તો આ વિષય પર લખવા માટે ઉંમર અને અનુભવ બંને ઓછા પડે પણ હાલમાં જે અનુભવ મને થયો એ વિષે જરૂર લખવાની ઇચ્છા છે.
મંદિરો અને બીજા ધાર્મિક સ્થળોમાં અમુક લોકો નિયમિત ધોરણે કેમ હાજરી પુરાવતા હશે અને ત્યાં બેસી ને કરતા શું હશે અને તેમને મળતું શું હશે એવા એવા નાહકનાં પણ સહજ વિચારોને વશ હતો. પરંતુ હાલ જ ખાનગી કે પછી અમુક ધંધાકીય મુંજવણોને લઇને થોડો માનસિક રીતે તણાવમાં હતો. ક્યાં બેસવું, કોની સાથે બેસવું અને કોની સાથે બેસીને સમસ્યા હાલ કરું એ બાબતે દ્વિધામાં હતો. જો કે મારી પોતાની ફિલોસોફી પણ એવી છે કે, બની શકે તો હું મારી સમસ્યાઓ જાતે જ મારા અંતર આત્માનાં ઈશારે ઈશારે પાર પાડવાનો પ્રયત્ન કરું છું.
તો થયું એમ કે, એ દિવસે વિચારોને વિચારોમાં ગંભીર મુદ્રા સાથે કાલુપુરનાં શ્રી સ્વામીનારાયણ મંદિરે જઇ ચડ્યો જો કે મંદિરમાં જવાનું કારણ એ હતું કે હજી સુધી આટલો સમય અમદાવાદમાં રહ્યા છતાં એ પવિત્ર સ્થળની મુલાકાત લઇ ન શક્યો અને બીજી કોઈ એવી બેઠક પણ નો'તી કે જ્યાં સમય પસાર કરી શકું. (હવે ખબર નહિ કે ત્યારે ઈશ્વરીય તત્વની પણ એવીજ ઈચ્છા હશે કે મને મારા ઉચિત સમયેજ બોલાવવો હોય, બરાબર ને ? )
હવે મંદિર તો પહોચી ગયો શું કરવું એ ખબર નો'તી પડતી એટલે ત્યાં એક બાજુ પર શાંતિથી બેસી ગયો અને આવતા જતાં શ્રધ્ધાળુઓની ભીડનો અનુભવ કરતો રહ્યો. (તમે કોઈ પણ વિચારોમાં હોવ ત્યારે જાતને શાંતિથી બેસાડવું એ ખુબજ સરળ થઇ જાય છે) ખરેખર ૧૦ મિનીટમાં તો મન એટલું શાંત થઇ ગયું કે કદાચ વિશ્વ પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પાસે કોઈ ટ્રીટમેન્ટ કરાવતો હોત તો મને આટલી શાંતિ પણ ના અપાવી શકત અને કદાચ રસ્તો પણ ન મળત, જયારે મને એ બંને મળી ગયા અને એ પણ એક સાથે!
ભરી ભરીને પ્રાકૃતિક અને પોસીટીવ ઉર્જાનો ભંડાર ભર્યો હોય એવી અનુભૂતિ થતી હતી. હા, મેં એક વસ્તુ કરી કે, મેં મારા વિચારો ને પડતા મૂકી દીધા, ન તો મેં મારા વિચારોનાં પુર ને રોકવાનો પ્રયત્ન કર્યો કે ન તો વધારે પડતું વિચારવાનો બસ ધીમે ધીમે એક ચમત્કાર થયો કે “હું શું કરીશ હવે?” એવી પરિસ્થિતિમાંથી “હવે હું કેમ અને કેઈ રીતે કરિશ?” એ અવસ્થામાં પહોંચી ગયો હતો! અને પછી મારા મુખ પર એક સ્મિત આવીને ઉભું રહી ગયું.
જે પણ થયું, શું કામ થયું, કેમ થયું એના વિષે વધારે વિચાર કરવા કરતા, મેં પોતે એ વસ્તુનો વિચાર કર્યો કે, જો એ સમયે પેલા મંદિરમાં હું ન બેઠો હોત તો મારી માનસિક હાલત કૈક અલગ જ હોત. આ પછી તો મને એ પણ વિચાર આવ્યો કે, લોકો ભલે ગમે તે કારણો સર મંદિરો અને ધાર્મિક સ્થળો બનાવે છે પરંતુ બધે થી હારી ગયા હોય અને ભગવાન શ્રી કૃષ્ણ તમારી હુંડી સ્વીકારી હોય એવું જો કોઈ કરી શકે તો આ એ ધાર્મિકસ્થળો જ છે. (પાક્કા પાયાની વાત છે) જરૂરી નથી કે હર હંમેશ એજ અનુભવ થાય પણ, એવી પરિસ્થિતિઓમાં ધાર્મિકસ્થળો જેવું બીજું એકપણ પોતાની યોગ્યતા પુરવાર કરવામાં સક્ષમ નથી.
છેલ્લે છેલ્લે ...
ધાર્મિકસ્થળો, ફક્ત ધાર્મિક પરિબળોથી જ નહીં પણ વૈજ્ઞાનિક પરિબળોથી પણ તરબોળ છે એ જાણવા મળ્યું. ક્યારેક પ્રયત્ન કરજો, કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર કોઈ પણ ધાર્મિકસ્થળે પોતાના માટે બેસવાનો પ્રયત્ન કરજો. આપણા પૂર્વજો એ ખાલી સમયજ પસાર નથી કર્યો એની ખાતરી થઇ ગઈ. છેલ્લે છેલ્લે તો એવું પણ થયું કે આ મંદિર માટે મારા દ્વારા જેટલી પણ થાય એટલી મદદ કરવી જોઈએ જેનાથી બીજા કોઈ પણ સમાન વ્યક્તિને સહારો મળી રહે પછી એ માનસિક હોય કે શારીરિક (રોકસ્ટાર મુવીમાં આજતો બતાવાનો પ્રયત્ન કર્યો છે કે જયારે રણબીર કપૂર ને બરતરફ કરવામાં આવે છે ત્યારે તે એક ધાર્મિક સ્થળે તેને બધું મળી રહે છે.) બસ એજ.
કમલ ભરખડા